Monday 29 May 2017

10 Nomadic Families will get thier own home soon at Chansma



ફોટોમાં હાલમાં આ પરિવારો જેવી સ્થિતિમાં રહે છે તે.. 
ચાણસ્મા તાલુકા મથકે વિચરતી જાતિના સરાણિયા તેમજ વાંસફોડા વાદી સમુદાયના 10 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળ્યા છે. સરાણિયા પરિવારો છરી – ચપ્પાની ધાર કાઢવાનું કરે છે અને વાદી સમુદાય વાંસમાંથી સૂડલાં ટોપલાં બનાવીને આસપાસના વિસ્તારમાં ફરીને વેચે છે. 

આ પરિવારો સરકારની જમીન પર છાપરાં બાંધીને રહેતા હતા. તેમને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે આપણે 2011થી રજૂઆત કરી રહ્યા હતા. સરકાર દ્વારા તેમને 2016માં 25 ચો.મી.જમીન ઘર બાંધવા માટે આપવામાં આવી પણ ચાણસ્મા ગામના અન્ય તેમના વસવાટ સામે વિરોધ કરતા હોવાથી આપણે ત્યાં કામ આગળ વધાર્યું નહોતું. સાથે સરકાર દ્વારા પણ મકાન બાંધકામ માટેની મંજુરી ચીઠ્ઠી મળતી નહોતી. જે ઘણી રજૂઆત પછી મળતા આપણે હવે આ પરિવારોના ઘરો બનાવવાનું કરી શકીશું. VSSMના કાર્યકર મોહનભાઈ બજાણિયાની આ પ્લોટ મંજુર થવામાં દિવસ રાતની મહેનત છે. સાથે પાટણનું વહીવટીતંત્ર પણ સંવદેનશીલ. સૌનો આભાર.

સરકાર દ્વારા 10 પરિવારોને મકાન બાંધકામ માટે પ્રત્યેક મકાન દીઠ રૃા.70,000 આપવામાં આવશે. પણ આટલી મોંઘવારીમાં આટલી રકમમાં ઘર બનાવવું શક્ય નથી. 

વળી આ પરિવારોની આર્થિક સ્થિતિ પણ એટલી સારી નથી કે તેઓ પોતે વધુ રકમ ઉમેરી શકે. VSSM સાથે સંકળાયેલા સ્વજનો મદદ કરશે તેવી શ્રદ્ધા છે.

પોતાનું ઘર હોવાનું સુખ શું છે તે આપણે કલ્પી નથી શકતા કારણ આપણને કેટલીક સુવિધા આપણે જન્મ્યા ત્યારથી જ મળી છે. પણ સદીઓથી લબાચા લઈને એક ગામથી બીજે અને ત્યાંથી ત્રીજે એમ સતત રઝળતા રહેનારા આ પરિવારોની આ પહેલી પેઢી છે જે પોતાના પાકા ઘરમાં રહેવા જવાની છે. ત્યારે તેમની પોતાના ઘરની સંકલ્પના પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખીએ..

No comments:

Post a Comment